વૈષ્ણવો માટે નવધા ભકિ્તનું નવું સ્વરૂપ

શ્રીમદ્ ભાગવત અને શ્રી વલ્લભ દ્વારા પ્રકાશિત પુષ્ટિમાર્ગી ગ્રંથો ઉપરાંત કોઈપણ સ્વરૂપે થતું ભગવત્જ્ઞાન સાંભળવું એ શ્રવણભક્તિ છે.

શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ ગીતા, પુષ્ટિસંપ્રદાયને લગતા ગ્રંથો સંસ્કૃત તથા લોકભાષામાં રચાયેલા સ્તોત્રોનો પાઠ, શરણમંત્ર અને ભગવદ્ નામ ઉચ્ચારણ આ બધું કિર્તનભક્તિ છે.

મંત્રજાપ કરતી વેળા ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં અને વ્રજભૂમિમાં કરેલી બાળલીલાઓ અને વ્રજવાસીઓનું સ્મરણ કરવું એ સ્મરણભક્તિ છે.

ભગવાનનું સેવામંદિર સોહદતીથી સાફ કરવું, વાગા વસ્ત્ર દેવસેવાના વાસણ પૂજાપાત્ર ઈત્યાદિ ધોવાં વગેરે જેવી મંગળાથી શયન સુધીની પુરી સેવા એ પાદસેવનભક્તિ છે.

પંચામૃતસ્નાન, અધિવાસન, સંકલ્પ તથા ઉત્સવના દિને થનારા મંત્રોચ્ચારણ ઈત્યાદિ અર્ચનભક્તિ છે.

પુષ્ટિમાર્ગમાં દીનતા અર્થાત દૈન્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ આ દીનતામાં હીનપણાનો ગરીબડાપણાનો કે ઓશીયાળાપણાનો ભાવ જરાપણ નથી.આ વંદનભક્તિ છે.

પુષ્ટિમાર્ગી વૈષ્ણવરૂપે ભગવદ્ પ્રસાદ આરોગવો પ્રસાદી વસ્ત્ર ધારણ કરવાં, અન્યાશ્રય ન કરવો ભગવદ્ સેવાથી બચેલા કુમકુમથી ઉર્ધ્વચન્દ્ર તિલક કરવું એ દાસ્યભક્તિ છે.

શાસ્ત્રાદિથી પ્રેરિત થઈને નહીં પરંતુ સ્વતઃ પ્રેમભાવથી પ્રેરિત થઈને તન્સુખીત્વની ભાવનાથી ૠતુ ૠતુ અનુસાર બાલકૃષ્ણને અનુકૂળ આવે એવા વસ્ત્રો સાધનો ઈત્યાદિ ધરવા અને ઉત્તમ પદાર્થો પ્રભુની સેવામાં પધરાવવા એ સખ્યભક્તિ છે.

પુષ્ટિજીવી વૈષ્ણવ પોતાના દેહ, ઈન્દ્રીય, અંતઃકરણ તથા સ્ત્રી, પુત્ર, ગુરૂ, આપ્તજન ધનસંપત્તિ આદિ્સર્વ આત્મા સહિત પ્રભુનાં ઉપયોગ માટે પ્રભુની સેવાલાયક બનાવી સમર્પિત કરે તો તે આત્મનિવેદનભક્તિ ગણાય.
 
 
બિપિન બંસીલાલ શાહ.

મારો આ પ્રકલ્પ ‘ શ્રીનાથજી દર્શન ’ હું મારા ગુરુજી અને વડીલોના ચરણકમળોમાં સમર્પિત કરું છું.